અમદાવાદઃ આનંદનગર રોડ પર બાઇકમાં આગની ઘટના અમદાવાદ શહેરના વ્યસ્ત આનંદનગર રોડ પર શનિવાર (9 મે)ના રોજ એક દોડતી બાઇકમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આખી બાઇક આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે બાઇકચાલકે સમયસર નીચે કૂદી પડતા તેનો જીવ બચી ગયો હતો.
ટ્રાફિક વચ્ચે બાઇકમાં આગ લાગી હતી
આનંદનગર વિસ્તારમાં આવેલી કોમ્ફી હોટલ પાસે એક બાઇક સવાર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક બાઇકના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ વારમાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. બાઇકચાલકે તરત જ બાઇક રોકીને સલામત અંતરે ખસી જતાં મોટો અકસ્માત ટળી ગયો હતો.
ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં બાઇકને વ્યાપક નુકસાન થયું હતું. આગના કારણે થોડો સમય રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ વટવા મર્ડર કેસઃ 34 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી લાશને ખાડામાં દાટી દેવાના આરોપમાં પતિ અને જેઠની ધરપકડ
શું કારણ હોઈ શકે?
પ્રાથમિક તબક્કે આગ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે અથવા તો ભારે ગરમીના કારણે એન્જિન ઓવરહિટીંગ થયું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તાપમાન 40-42 ડિગ્રીને પાર કરી રહ્યું છે ત્યારે વાહનોમાં ઇંધણની લાઇન કે વાયરિંગમાં ખામીના કારણે આગની ઘટનાઓ બની શકે છે. પોલીસ અને ફાયર વિભાગે વાહનચાલકોને ઉનાળાની ઋતુમાં વાહનોની નિયમિત સર્વિસ કરાવવા અને વાયરિંગમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાનું ટાળવા અપીલ કરી છે.