સુરત કોર્પોરેશન : સુરતે દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવ્યો છે પરંતુ હવે મહાનગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં કચરાના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. તેમજ કતારગામ ઝોનના સિંગણપોર ટ્રાન્સફર સ્ટેશન પર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે રોડ પર કચરાના ઢગલાઓને કારણે સ્થાનિકોના આરોગ્ય સામે જોખમની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. પાલિકાની આ બેદરકારીના કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં નિષ્ફળતા સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
નગરપાલિકાના કતારગામ ઝોનમાં વેડ રોડ પર આવેલ ટ્રાન્સફર સ્ટેશન સ્થાનિકો અને વાહનચાલકો માટે હાલાકીરૂપ બની રહ્યું છે. આ સ્થળે નબળી કામગીરીના કારણે ટ્રાન્સફર સ્ટેશનની દિવાલને અડીને કચરાના ઢગલા જોવા મળે છે. ઘણા સમયથી આ કચરાના ઢગલા રોડને બ્લોક કરી દેતા હોય છે અને તેની નીચે વાહનો આવી જતા કચરો રોડ પર પડી રહ્યો છે. આ દુર્ગંધ મારતો કચરો આસપાસ ફેલાતા સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
આ ટ્રાન્સફર સ્ટેશનની આસપાસ ખુલ્લામાં પડેલો કચરો, દુર્ગંધ, માખી-મચ્છરોનો ઉપદ્રવ હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત રોડ પર કચરાના ઢગલાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આવી સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા દર વર્ષે શહેરના કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આધુનિક મશીનરી, વાહનો અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવા છતાં વેડરોડ જેવા વિસ્તારમાં જોવા મળતા આવા દ્રશ્યો પાલિકાની કામગીરી અને મોનીટરીંગ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્વચ્છતા સ્પર્ધામાં મોખરે રહેલા શહેરમાં ટ્રાન્સફર સ્ટેશનની આસપાસ કચરો બેરોકટોક ફેલાઈ રહ્યો છે જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.