અમદાવાદ અકસ્માત: અમદાવાદના રાણીપ અને વાડજ વિસ્તારને જોડતા ચંદ્રભાગા બ્રિજ પર કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બ્રિજની નીચેથી સીધી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કાર ચાલક અને તેમાં સવાર અન્ય યુવકને ઈજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે બી ટ્રાફિક પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત મોડી રાત્રે થયો હતો
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે થયો હતો. એક કાર રાણીપથી ચંદ્રભાગા બ્રિજ તરફ જઈ રહી હતી. કાર નવરંગપુરા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય વિશાલ મનોજ શાહ ચલાવતો હતો અને તેની બાજુની સીટ પર તેનો 33 વર્ષીય મિત્ર મુકુંદ પટેલ બેઠો હતો. કારની સ્પીડ વધુ હોવાને કારણે ચંદ્રભાગા બ્રિજ પાસે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેથી કાર રોડ પરથી પલટી મારી સીધી કેનાલમાં ખાબકી હતી. જો કે, કારમાં બેઠેલા બે મિત્રોનો આબાદ બચાવ થયો હતો અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ વૃક્ષોનું વૃક્ષારોપણના ઝનૂન વચ્ચે સફાઈ, સરકારની નીતિઓએ રાજ્યને કોંક્રિટના જંગલમાં ફેરવ્યું
પોલીસ કાફલો ઘટના સ્થળે હતો અને ક્રેન વડે કારને બહાર કાઢવામાં આવી હતી
અકસ્માતનો જોરદાર અવાજ સાંભળતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બંને ઈજાગ્રસ્ત મિત્રોને કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. કેનાલમાં ફસાયેલી કારને ઘણી જહેમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. હાલ બી ટ્રાફિક પોલીસે વધુ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.