![]()
સુરેન્દ્રનગર સમાચાર: રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વડિયા, કેરાળા અને થોરીયાળી એમ ત્રણ ગામોમાં છેલ્લા 12 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. વડીયા ખાતે ઉનાળામાં વીજ પોલ પડી જતાં ત્રણ ગામના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. 12 કલાકથી વધુ સમય વીતી જવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં ગ્રામજનો સાયલા પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ઓફિસ રામ ભરોસેના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સાયલાના વડીયા ખાતે વીજ પોલ પડી ગયા બાદ ગરમીના કારણે ગ્રામજનો સાયલા પીજીવીસીએલમાં રજૂઆત કરવા ગયા હતા. જ્યાં મોટાભાગના અધિકારીઓ કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા હતા. પીજીવીસીએલના નાયબ ઈજનેર પાસે અન્ય ચાર્જ હોવાથી સાયલા કચેરીમાંથી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં બેવડી ઋતુઃ પાટણમાં ઉનાળો વરસાદ, રાજકોટમાં ગરમી 43ને પાર
પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં વીજ પોલ રિપેર કરવા અમારી પાસે કોઈ માણસો હાજર નથી. ગ્રામજનોએ આ બાબતે અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.
સાયલા તાલુકામાં ઉનાળાની વીજ સમસ્યા શરૂ થતાની સાથે જ સાયલા પીજીવીસીએલ કચેરીમાં મુખ્ય અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. વીજ પુરવઠો ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.