રાજકોટઃ શહેરમાં આજે અષાઢી બીજના દિવસે નાનામવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથના મંદિરેથી નીકળેલી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. રથયાત્રાના પ્રારંભ પૂર્વે મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલીસ કમિશનર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના રાજવી માંધાતા સિંહના પરિવારે વિધિવત પૂજા અર્ચના કરી બાદમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં હજારો ભક્તો ભકિતભાવ સાથે જોડાયા હતા. અને જય જગન્નાથનો નાદ ગુંજી રહ્યો હતો. રથયાત્રામાં 25થી વધુ ફ્લોટ્સે ભાગ લીધો હતો. મુખ્ય આકર્ષણોમાં અઘોરી બાવાઓનું નૃત્ય, વૃંદાવનની રાસ મંડળી, સનતના બુલડોઝર અને ઉજ્જૈનના મહાબલી હનુમાનજી હતા.
શહેરના નાના મવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટા ભાઈ બલરામજી શહેરની પરિક્રમા માટે નીકળ્યા હતા. રથયાત્રામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે ભક્તો જોડાયા હતા. તેમજ 2000 જેટલા ભક્તો પગપાળા જોડાયા હતા. 21 કિલોમીટરની રથયાત્રા સાંજે 7 કલાકે રાજકોટ શહેરમાં પરત ફરશે. ભગવાન જગન્નાથની રથયાત્રાનું રાજકોટ શહેરમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વખતે આ રથયાત્રામાં વૃંદાવનની રાસ મંડળી જોડાઈ હતી. મહાબલી હનુમાનજી અને ઉજ્જૈનના અઘોરી સાધુઓનો સમૂહ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાને હિન્દુ ધર્મના સનાતનની પ્રતિક યાત્રા તરીકે ગણવામાં આવે છે. ભગવાન જગન્નાથ આજે નગરજનોને દર્શન આપવા રવાના થયા છે. ભગવાન જગન્નાથ તમામ લોકોના દુઃખ દૂર કરશે. ભગવાન જગન્નાથની યાત્રા 100 યજ્ઞોનું પુણ્ય આપે છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ સવારે જગન્નાથનું પૂજન કર્યું હતું. તેમણે કહ્યું, ભગવાન જગન્નાથ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. આજના પવિત્ર દિવસે ભગવાન સ્વયં લોકોની સુખાકારી માટે શહેરનો પ્રવાસ કરી રહ્યા છે. રાજકોટના રાજવી પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની પૂજા કરવામાં આવી હતી. ભગવાનની રથયાત્રાના પ્રસ્થાન પહેલા રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને ફૂલ ચડાવવામાં આવ્યા હતા અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો હતો.
રથયાત્રાના આયોજક રાજુ જુંજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ત્યારે આજે અષાઢી બીજે રાજકોટના મહુવા રોડ સ્થિત જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને વિધી વિધાન સાથે મંદિરની બહાર લાવવામાં આવ્યા હતા અને ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ સમયે હજારો લોકોએ ભગવાન જગન્નાથના રથને ખેંચીને ધન્યતા અનુભવી હતી.
The post રાજકોટમાં રથયાત્રા, અઘોરી બાવાઓનો નૃત્ય જોવા ભક્તોની ભીડ appeared first on Revoi.in.