![]()
ગાંધીનગરમાં વધી રહેલા અકસ્માતો વચ્ચે
બાપુનગરનો એક યુવાન સેલ્સ માર્કેટીંગ કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ નાસી ગયો હતો
ગાંધીનગરઃ ગાંધીનગર શહેર નજીક પીડીપીયુ રોડ પર ગઈકાલે રાત્રે એક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચલાવી રહેલા બાપુનગરના યુવકને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા તેને સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના હાઇવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને હિટ એન્ડ રનમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક પીડીપીયુ માર્ગ પર સિગ્નેચર બ્રિજ પાસે ગઈકાલે રાત્રે બનેલી વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં બાઇકચાલક યુવકનું મોત થયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બાપુનગરમાં રહેતા યુવાન અશ્વિનભાઈ તેજપ્રકાશ ત્રિપાઠી ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે અને ગઈકાલે રાત્રે તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે પીડીપીયુ રોડ પર આવેલ સિગ્નેચર બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. જેથી તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ તેના પરિવારજનોએ ફોન કરતાં તે મોડી રાત સુધી પરત નહીં ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું, તેને અકસ્માત થયો છે. પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ ઇન્ફોસીટી પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડવા દોડધામ શરૂ કરી છે.
