રાજપીપળા,ગુજરાતના જીવાદોરી નર્મદા ડેમની જળસપાટી ગઈકાલની સરખામણીમાં આજે સાંજે 137.08 મીટર જેટલી ઘટી છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે અને વર્તમાન સ્તર પર નજર કરીએ તો ડેમ પૂર્ણ ભરાવાથી 1.60 મીટર દૂર છે.
અત્યાર સુધી ડેમના 15 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતું હતું, પરંતુ આજે ડેમના 1.70 મીટરનો માત્ર 1 ગેટ જ ખુલ્લો રાખવામાં આવ્યો છે. બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. હાલ 75078 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
જેની સામે નદીમાં કુલ 52413 ક્યુસેકનો પ્રવાહ છે. ડેમના દરવાજામાંથી 10 હજાર ક્યુસેક અને પાવર હાઉસમાંથી 42413 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવે છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ વધીને 8920 મિલિયન ક્યુબિક મીટર થયો છે. ડેમ 94 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં ડેમ ભરાયો હતો.