![]()
જામનગર PMAY કૌભાંડ : જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સપાટી પર આવ્યા છે. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ કન્સલ્ટન્ટ દ્વારા લાભાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હોવાના આક્ષેપ સાથે મામલો ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કન્સલ્ટન્ટ મનીષ રૂપારેલીયા સામે ખુશાલ સુરેશભાઈ વડાલીયા દ્વારા રાજકોટ મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરીને સરકારી યોજનાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે. રિપોર્ટ અનુસાર એવો પણ આરોપ છે કે સરકાર પાસેથી લાભાર્થીઓના બિલો ખોટી રીતે પાસ કરીને પૈસા મેળવવામાં આવ્યા છે. તેમજ રજુઆતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકો યોજના માટે લાયક નથી તેવા લોકોને લાભ આપવામાં આવ્યો છે અને જે લોકો ખરેખર જરૂરિયાત છે તેઓ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે.
સરકારની આ યોજનાનો મુખ્ય હેતુ નબળા અને જરૂરિયાતમંદ વર્ગને આવાસની સુવિધા આપવાનો છે, પરંતુ આ હેતુથી વિપરીત કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેની તપાસની માંગ કરવામાં આવી છે. આ મામલે પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. હાલમાં આ રજુઆતને પગલે તમામનું ધ્યાન આગળની કાર્યવાહી પર કેન્દ્રિત થયું છે.
