સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રોડ પરના દબાણના મુદ્દે ચર્ચા ચાલી હતી. શહેરના અન્ય વિસ્તારોમાંથી દબાણની ફરિયાદ સાંભળીને મેયર દબાણ હટાવવા માટે પહોંચે છે, પરંતુ જે વોર્ડમાંથી મેયર ચૂંટાયા છે ત્યાં સતત દબાણની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીએ કરી છે. આ ઉપરાંત પાલ-પાલનપોર વિસ્તારમાં ગેરકાયદે દબાણની ફરિયાદ ઉઠી હતી. ત્યારબાદ દબાણ હટાવવાને બદલે દબાણોની સંખ્યામાં વધારો થયો હતો. જેથી પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુરતના વરાછા રોડના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં ગેરકાયદે દબાણ અંગે તંત્રને પત્ર લખ્યો હતો. તંત્ર અને પોલીસે સાથે મળીને આ ગેરકાયદે દબાણ તાત્કાલિક દૂર કર્યું છે. એટલું જ નહીં પરંતુ મેયર દક્ષેશ માવાણીએ પાલિકાના અધિકારીઓ અને પોલીસ કમિશનર સાથે સ્થળની મુલાકાત લઈ દબાણ દૂર કરવા સૂચના આપી હતી. જોકે, મેયરના વોર્ડમાંથી ચૂંટાયેલા અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય એવા ઘનશ્યામ સવાણીએ તેમના વિસ્તારમાં દબાણના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં આક્રમક રજૂઆત કરી હતી.
સવાણીએ જણાવ્યું હતું કે કતારગામના પારસ ચોક, બાલાશ્રમ રોડ અને લલિતા ચોક અને ગાયત્રી ડેપો સહિતના વિસ્તારોમાં વારંવાર દબાણો થાય છે. લારી-ગલ્લા અને પથરાણવાલાના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા સાથે અનેક મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા કામગીરી કરવા જણાવાયું છે.
બીજી તરફ પાલિકાના રાંદેર ઝોનના પાલ-પાલનપોર વિસ્તારમાં પણ ખાસ કરીને પાલનપોર કેનાલથી એલ.પી.સવાણી રોડ સુધી લારી-ગલ્લાઓનું ભારે દબાણ છે. અગાઉ આ વિસ્તારમાં લારીઓ ઓછી હતી પરંતુ દબાણ હટાવની ફરિયાદ બાદ લારીઓ ભરચક બની ગઈ છે. દરેક ચાર રસ્તાના ખૂણે ટ્રકો પાર્ક કરેલી હોય છે અને તેમાં ખરીદી કરવા આવતા વાહનચાલકો પણ રોડ પર ઉભા રહે છે જેના કારણે ટ્રાફિકને ભારે હાલાકી પડે છે. જો આ દબાણની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવામાં નહીં આવે તો અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવવાની શક્યતા નકારી શકાતી નથી.