સુરત સમાચાર: સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં શહેરના ઐતિહાસિક મુગલીસરા વિસ્તાર અને પાલિકાની મુખ્ય ઇમારતનું નામકરણ કરવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી છે. બીજેપી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મુગલસરાને હવે ‘શ્રી તાપીપુરા’ તરીકે ઓળખવાની મંજૂરી આપી છે, પરંતુ આ નિર્ણય કોંગ્રેસ તરફથી આક્રોશમાં આવ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટરે નામકરણને ઉતાવળનું પગલું અને માત્ર રાજકીય લાભ માટે ગણાવ્યું હતું.
1995થી સત્તામાં હોવા છતાં હવે કેમ મનમાં આવ્યું?
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શાસક પક્ષ ભાજપ પર નિશાન સાધતા સવાલ કર્યો છે કે સુરત મહાનગરપાલિકામાં 1995થી ભાજપનું શાસન છે તો 2026માં તેમને મા તાપી કેમ યાદ આવી? તેમણે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકાની વડી કચેરી આગામી થોડા વર્ષોમાં ખટોદરા ખાતે નવી બંધાયેલી 27 માળની બિલ્ડીંગમાં સ્થળાંતરિત થવાની છે, ત્યારે જૂની ઓફિસને ‘શ્રી તાપી ભવન’ નામ આપવું એ જનતાને ગેરમાર્ગે દોરવાનો માત્ર એક સ્ટંટ છે.
નવી ઇમારતનું નામ પણ ‘તાપી ભવન’ રાખોઃ કોંગ્રેસ
અસલમ સાયકલવાલાએ પડકાર ફેંકતા જણાવ્યું હતું કે જો ભાજપને ખરેખર તાપી પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી હોય તો ખટોદરા રીંગ રોડ પર બની રહેલી 27 માળની પાલિકા કચેરીનું નામ પણ ‘શ્રી તાપી ભવન’ રાખવું જોઈએ. માત્ર રાજકીય લાભ માટે ઐતિહાસિક વારસા સાથે છેડછાડ કરવી યોગ્ય નથી.
સ્થાનિકોના મંતવ્યોની કથિત અવગણના
મુગલીસરા વિસ્તારનું નામ બદલવાના મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારની મુઘલ કાળથી એક અલગ ઓળખ છે. આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓના મંતવ્યો જાણ્યા વિના કે ધ્યાનમાં લીધા વિના ‘શ્રી તાપીપુરા’ નામકરણ કરવું એ લોકશાહી વિરોધી અને ઉતાવળનું પગલું છે. કોઈપણ વિસ્તારની વર્ષો જૂની ઓળખ બદલતા પહેલા ત્યાંના લોકોની સંમતિ અનિવાર્ય હોવી જોઈએ.
આ નામકરણ બાદ સુરતનું રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપ તેને સાંસ્કૃતિક ઓળખ ગણાવી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ તેને આગામી ચૂંટણીનું સાધન ગણાવી રહ્યું છે.