સુરતમાં બે યુવાનો ડૂબી ગયા: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતરા ગામમાં આજે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મીંઢોળા નદીમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો પૈકી બે યુવાનો નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
નદીમાં નહાવાની મજા સજામાં ફેરવાઈ ગઈ
મળતી માહિતી મુજબ ઉત્તરા ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં પાંચ મિત્રોનું ટોળું ન્હાવા ગયું હતું. નદીમાં ન્હાતા હતા ત્યારે પાંચ પૈકી બે યુવકો અચાનક ઉંડા કરંટમાં ખેંચાઈ જતાં ડૂબી ગયા હતા. સાથે આવેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધરી નદીના ઉંડા પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ લેખીરામ પ્રજાપતિ અને હર્ષ પરમાર તરીકે થઈ હતી.
પરિવારમાં શોકનું મોજું
યુવાન જોટા જેવા બે પુત્રોના અકાળે મોતથી રામેશ્વર નગર અને તેગામ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહીવટીતંત્ર દ્વારા પણ અવારનવાર લોકોને અજાણ્યા સ્થળે નદી કે કેનાલમાં ન જવા માટે અપીલ કરવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓ અટકતી નથી.