નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂંક ન થતાં વિકાસ કામો અટકી પડ્યા છે. આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના સ્થાનિક હોદ્દેદારોને પત્ર લખીને ગંભીર આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યને પત્ર લખીને સંગઠન અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનના અભાવ સામે આકરા પ્રહારો કર્યા છે.
તેમણે પદાધિકારીઓને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી હતી
સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને મળ્યા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલે પત્ર પાઠવી જણાવ્યું છે કે અગાઉ રાજપીપળાના ચીફ ઓફિસરની ખોટી રીતે બદલી કરવામાં આવી હતી. હવે સમગ્ર ગુજરાતમાં બદલીઓ થઈ છે ત્યારે રાજપીપળામાં કાયમી અધિકારી કેમ નથી? તેમણે આક્ષેપ કર્યો હતો કે, પ્રચલિત ચર્ચા મુજબ પાલિકાના મહિલા પ્રમુખનો વહીવટ ખરાબ થાય તેવા આશયથી નવા અધિકારીની નિમણૂક કરવામાં આવતી નથી.
વિકાસ કામો પર કથિત ‘બ્રેક’
પત્રમાં સાંસદે પદાધિકારીઓને સરકારમાં રજૂઆત કરવા પડકાર ફેંક્યો છે કે ચીફ ઓફિસરની સહી વિના અનેક વિકાસના કામો અટવાયા છે. વન વિભાગે વન કાયદાના બહાને ડેડિયાપાડામાં ₹29 કરોડના 3 પુલ અને અનેક રસ્તાઓનું કામ અટકાવી દીધું છે, જેની જાહેરાત ખુદ પીએમ મોદીએ કરી હતી. સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘તમે સંગઠનના નિષ્ણાત છો, પરંતુ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશો તો જ સંગઠન મજબૂત થશે.’
આ પણ વાંચોઃ સાબરકાંઠાઃ ‘તમારે છોકરી જોવા જવું પડશે’, દિયરની હત્યા પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું
ચૂંટણી પહેલા કાર્યવાહીની માંગ
મનસુખ વસાવાએ માંગણી કરી છે કે આગામી ચૂંટણી પહેલા રાજપીપળા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવા માટે હોદ્દેદારોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો નગરજનોની સુખાકારી જોખમાશે અને વિકાસના કામો કાગળ પર જ રહી જશે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે.
સાંસદના આ પત્રથી જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહે છે કે આ પત્ર બાદ સરકાર રાજપીપળાને કાયમી ચીફ ઓફિસર આપે છે કે કેમ?
આ પણ વાંચોઃ ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું ‘ઝેરી’ દૂધ, પ્રાંતિજમાં સત્ય ડેરી સામે કાર્યવાહી, 4ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર