ગાંધીનગરઃ નરેન્દ્ર મોદી 8 અથવા 9 જૂને દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રીમંડળ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હી જશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત પ્રદેશ ભાજપના નેતાઓ પણ હાજર રહેશે.
લોકસભા ચૂંટણીના પરિણામમાં NDAને બહુમતી મળી છે. ભાજપના સાથી પક્ષોએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદી સાથે રહેવા સંમતિ દર્શાવી છે. તેમણે ખુદ ભાજપના સમર્થનમાં રહેવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત એનડીએ સરકારનું નેતૃત્વ કરશે. નરેન્દ્ર મોદી આગામી તારીખ 9મી જૂને સાંજે 6 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત દેશના તમામ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદોને 9મી તારીખ સુધી દિલ્હી ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય તમામ સાંસદોને દિલ્હી પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નવસારીના સાંસદ છે. તેઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ ગુજરાતમાંથી ચૂંટાયેલા તમામ સાંસદોને આ કાર્યક્રમમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે.
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.