રાજકોટ AIIMS કેન્ટીનની છત ધરાશાયી : છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કેટલાય જર્જરિત મકાનો કે ઈમારતો પડી ગયા. પરંતુ, રાજકોટમાં નવી નક્કોર બિલ્ડીંગની છત જ ધરાશાયી થઈ ગઈ છે. લગભગ 1200 કરોડના ખર્ચે બનેલી AIIMSની કેન્ટીનની છત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ત્યાં નાસ્તો કરી રહેલા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ રાજકોટમાં એઈમ્સની નવી બનેલી કેન્ટીનમાં લોકો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક પીઓપીની છતનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. રાજકોટ એઈમ્સ સત્તાવાળાઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે છત ભીની થઈ ગઈ છે અને આ ભીનાશને કારણે પીઓપીની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
આ પણ વાંચો: મોરબી નજીક કારમાં આગ, દરવાજા બંધ થતાં યુવાન વેપારીનું મોત
તૂટી પડેલા ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તૂટી પડેલા ભાગનું હવે સમારકામ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટના દરમિયાન એવો સવાલ ઉઠી રહ્યો છે કે, જે નવનિર્મિત એઈમ્સના આટલા વખાણ થઈ રહ્યા હતા તે જો માત્ર ત્રણ-ચાર દિવસના વરસાદમાં આ રીતે ધરાશાયી થવા લાગે તો શું વધુ વરસાદમાં આ ઈમારત ઊભી રહી શકશે?
