સુરાઃ સુરતના મોટા વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલા શાળા સ્થળાંતરના નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળા નં. 354ના 320 જેટલા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય શાળા નં. 309માં શિફ્ટ કરવાના અચાનક નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ગરમીનો માહોલ છે. આ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ શરૂ કરી છે. સુરતમાં શિક્ષણ માટે ઉપવાસ કે આંદોલનની આ કદાચ પ્રથમ ઘટના છે.
મળતી માહિતી મુજબ 354 નંબરની શાળામાં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી સતત અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ 14-05-2026 ના રોજ સ્થળાંતરનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં, વાલીઓને 02-06-2026 ના રોજ જ જાણ કરવામાં આવી હતી. આ વિલંબિત માહિતી અને એકતરફી નિર્ણયથી વાલીઓમાં ભારે અસંતોષ છે. આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થયા હતા, તેઓ પ્લે કાર્ડ લઈને ‘શિક્ષણ નહીં રાજકારણ, અમને ન્યાય જોઈએ છે’ જેવા સૂત્રોચ્ચાર કરતા હતા. સ્થાનિક કક્ષાએ એવી પણ ચર્ચા થઈ રહી છે કે સુરતનો આ પહેલો કિસ્સો હોઈ શકે કે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઉપવાસ પર ઉતર્યા હોય.
વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કોઈપણ પ્રકારની ચર્ચા કે સંમતિ વિના મનસ્વી રીતે નિર્ણય લીધો છે. શાળા નંબર 309 દૂર હોવાથી નાના વિદ્યાર્થીઓને રોજીંદી અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને અભ્યાસને પણ ગંભીર અસર થશે તેવી ભીતિ છે. પરિસ્થિતિ વણસી જતાં વિદ્યાર્થીઓએ જૂની શાળા છોડવાની ના પાડી દીધી અને ભૂખ હડતાળ શરૂ કરી. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં વાલીઓ અને સ્થાનિકોમાં અસંતોષનું વાતાવરણ છે અને લોકો આ નિર્ણય અંગે તાત્કાલિક પુન:વિચારણા કરવા માંગ કરી રહ્યા છે.