સુરત ગંદુ પાણી : સુરત શહેરના પાંડેસરા વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગંદુ પાણી, પૂરતું પાણી ન મળતું અને લાઇનમાંથી નીકળતા પ્લાસ્ટિકના ટુકડા અને થેલીઓથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સંદીપનગર, શિવમનગર, સીતાનગર, માયાવંશી મહોલ્લો, ભરવાડ મહોલ્લો અને પાંડેસરા ગામ તળ વિસ્તારની અનેક સોસાયટીઓ છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે જેમાં નળનું પાણી ગંદુ અને અશુદ્ધ આવી રહ્યું છે અને પૂરતું પાણી પણ મળતું નથી. પરિસ્થિતિ સુધારવા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સતત જુદા જુદા વિસ્તારોમાં ખાડા ખોદી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ખોદવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તંત્રને ચોક્કસ ખામી શોધવામાં સફળતા મળી નથી, જેના કારણે આ વિસ્તાર વધુ બિસમાર અને અસ્વચ્છ બન્યો છે. અનિયમિત પાણી પુરવઠા અને અશુદ્ધ પીવાના પાણીને કારણે સ્થાનિકોને મ્યુનિસિપલ ટેન્કરોમાંથી પાણી લાવવાની ફરજ પડી રહી છે અને આરોગ્યની ચિંતામાં વધારો થવા સાથે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ અને રોષ સતત વધી રહ્યો છે અને આ સમસ્યાનો તાત્કાલીક અને કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે.