સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકામાં વિકાસના કામોના નામે લોકોના ટેક્સના પૈસા કેવી રીતે વેડફાય છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. કરોડો રૂપિયાના વિકાસનો દાવો કરતી નગરપાલિકા પોતાના જ વિભાગો વચ્ચે સામાન્ય સંકલન જાળવી શકતી નથી તે હકીકત ફરી એકવાર પ્રકાશમાં આવી છે. પાલ વિસ્તારમાં માત્ર 45 દિવસ પહેલા પાંચ લાખ રૂપિયાના ખર્ચે રોડનું રિ-કાર્પેટ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં તંત્રને યાદ આવ્યું કે અહીં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ બાકી છે. પરિણામે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો નવો રોડ જેસીબી દ્વારા ખોદવામાં આવ્યો છે. વિકાસના નામે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ એ જ કામો થોડા દિવસોમાં તોડી પાડવા એ વહીવટી ભૂલ જ નહીં પરંતુ પ્રજાના પૈસાની ઘોર બેદરકારી છે, તેથી જવાબદારી નક્કી કરવા માંગ ઉઠી છે.
નગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલ વોકવેની સામે આવેલી સ્તુતિ રેસીડેન્સીની ગલીમાં માત્ર 45 દિવસ પહેલા અંદાજે પાંચ લાખ રૂપિયાના ખર્ચે રોડનું રી-કાર્પેટ કરવામાં આવ્યું હતું. રોડનો યોગ્ય ઉપયોગ થાય તે પહેલા પાલિકાના અધિકારીઓને યાદ આવ્યું કે રોડનું રી-કાર્પેટ કરવામાં આવ્યું હતું પરંતુ ડ્રેનેજનું કામ બાકી હતું. જેથી 45 દિવસ પહેલા જ બનાવેલા રોડ પર બુલડોઝર આવી ગયું હતું અને રોડ ડ્રેનેજના કામ માટે રોડ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના લોકો 45 દિવસ પહેલા રિ-કાર્પેટ કરાયેલા રસ્તા પર ખોદકામ કરતા બુલડોઝર જોઈને ચોંકી ઉઠ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ડ્રેનેજનું કામ બાકી હતું તો રોડ બનાવતા પહેલા તેનું આયોજન કેમ ન થયું? એક તરફ નગરપાલિકા વિકાસના કામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ એક વિભાગ દ્વારા કરવામાં આવતા કામોને બીજા વિભાગ દ્વારા થોડા દિવસોમાં જ તોડી પાડવામાં આવે છે. આવી પ્રથા માત્ર વહીવટી ગેરરીતિ જ નહીં પરંતુ જાહેર નાણાંની ઘોર બેદરકારી છે.
આ ઘટના માત્ર એક વિસ્તાર પુરતી મર્યાદિત નથી. મ્યુનિસિપલ તંત્રમાં વિભાગો વચ્ચે સંકલનના અભાવે શહેરના અનેક વિસ્તારોમાં રોડ, પાણી અને ડ્રેનેજને લગતી કામગીરીમાં અવારનવાર આવી સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લોકો પહેલા રોડ બનાવવાની, પછી તેને તોડીને ફરીથી બનાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવામાં આવે તેવી સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે. રોડનું કામ મંજૂર કરતાં પહેલાં ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કેમ નહોતું? પાંચ લાખનો ખર્ચ વેડફી નાખનાર અધિકારીઓ સામે શું પગલાં લેવાશે? અને આ વધારાના ખર્ચની જવાબદારી કોણ ઉઠાવશે? એટલું જ નહીં પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે જો જવાબદારી નક્કી નહીં થાય તો લોકોના ટેક્સના પૈસા વેડફતા રહેશે.