રાજપીપળાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લામાં અલગ-અલગ અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. નર્મદા જિલ્લાના ઓવારા પાસે માંચ ચોકડી, માંડણ ગામના બસ સ્ટેન્ડ અને રાજપીપળા કરજણ પાસે અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા અને એક યુવક ઘાયલ થયો હતો.
આ અકસ્માતની વિગત એવી જાણવા મળી છે કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામના મનીષ રમેશભાઈ વસાવા પોતાની મોટર સાયકલ લઈને ડેડીયાપાડાના માંચ ચોકડીથી કાંટીપાડા ગામ જઈ રહ્યા હતા. ટાટા મેજિક ફોર વ્હીલર સાથે અકસ્માત થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજો અકસ્માત નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે ડીઓ મોપેડ અને મહેન્દ્ર બોલેરો પીકઅપ જીપ વચ્ચે સર્જાતા મોપેડની પાછળ બેઠેલી મહિલા આરતીબેન વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલક ચિરાગ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માતનો ત્રીજો બનાવ રાજપીપળાના કરજણ નદી ઓવારા પાસે બન્યો હતો. જેમાં ચાલક બેફામ રીતે બાઇક હંકારી રહ્યો હતો. આગળ ચાલી રહેલી ઇકો કારને ઓવરટેક કરતી વખતે બાઇકે સંતુલન ગુમાવ્યું હતું અને ઇકો કારના બોનેટ સાથે અથડાઇ હતી. બાઇક ચાલકને સામાન્ય ઇજા થતાં તેને સારવાર માટે રાજપીપળા સરકારી દવાખાને ખસેડાયો હતો. આ અકસ્માતના ત્રણેય બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.