આમરણાંત ઉપવાસ આંદોલન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું
જ્યાં સુધી સરકાર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય, ખેડૂતોનો મક્કમ નિર્ધાર
મોરબી: જેતપરમાં વીજલાઈન વળતરના મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનમાં વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી હતી, જેથી તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન, કલેક્ટર, પોલીસ વડા અને પ્રાંત અધિકારીએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી પરંતુ ખેડૂતોએ એવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી સરકાર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન છેડશે નહીં.
મોરબીના જેતપર ગામમાં સતત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ બે પુરુષ અને બે મહિલા આંદોલનકારીઓની તબિયત લથડી હોવા છતાં આંદોલન સતત ચાલી રહ્યું છે. જેમાં ગતરાત્રે ઉપવાસ પર બેઠેલા વધુ એક ખેડૂત નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ગત રાત્રે જેતપર ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. જોકે, ખેડૂતોએ હવે ગાંધીનગર નહીં જવાની સ્પષ્ટતા કરી હતી. આંદોલનકારી રાકેશભાઈ ઉર્ફે કાલો અમૃતિયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સુધારા સાથેનો પરિપત્ર નહીં આવે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય. અને જ્યાં સુધી મુખ્યમંત્રી પત્ર લખીને મળવાનો સમય ન ફાળવે ત્યાં સુધી ગાંધીનગર નહીં જવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં સુધી સરકાર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે તેવો ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે.

– જેતપર ઉપવાસ છાવણીમાં મહારક્તદાન કેમ્પ
જેતાપર ઉપવાસ શિબિરમાં મહા રક્તદાન શિબિરનો પ્રારંભ થયો છે. મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિત 12 બ્લડ બેંકોના સહયોગથી આયોજિત કેમ્પમાં રક્તદાન કરવામાં આવી રહ્યું છે. બપોર સુધીમાં 1000 બોટલો ભેગી થઈ હતી. ખેડૂતોએ કેમ્પમાં સૌથી વધુ રક્ત એકત્ર કરવાનો રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

