વડોદરાઃ શહેરના રાવપુરા વિસ્તારમાં કોળી ચાર રસ્તા પાસેની મુખ્ય પાણીની લાઇનમાં વાલ્વમાં લીકેજ થતાં છેલ્લા ત્રણ ચાર દિવસથી લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી રોડ પર વહી રહ્યું છે. એક તરફ શહેરના અનેક વિસ્તારો પીવાના પાણીની સમસ્યા અને ભીડનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ કોર્પોરેશનની બેદરકારીના કારણે પાણીનો મોટાપાયે વેડફાટ થતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાણીની મુખ્ય લાઇનના વાલ્વમાંથી સતત લીકેજ થઈ રહ્યું છે, જેના કારણે આ જગ્યાએ લગભગ 10 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડી રહ્યો છે. પાણીનો વાલ્વ ચાલુ અને બંધ કરવા માટે દરરોજ મહાનગર પાલિકાના કર્મચારીઓ સ્થળ પર આવે છે, પરંતુ લીકેજને કાયમી ધોરણે રિપેર કરવાની દિશામાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનના સંબંધિત વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. પરિણામે સતત ત્રણથી ચાર દિવસ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે
નાગરિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે પાણી બચાવો અંગે જાગૃતિ અભિયાન ચલાવતી મહાનગરપાલિકા પોતાની સિસ્ટમ દ્વારા પાણીનો બગાડ અટકાવવામાં નિષ્ફળ રહી છે. પાણીનો બગાડ અટકાવવા તાત્કાલિક લીકેજનું સમારકામ કરવા માંગ કરી છે.