કરજણ તા.23: કરજણ તાલુકાના કુરાલી ગામેથી પાંચ દિવસ પહેલા ગુમ થયેલા વૃધ્ધનો મૃતદેહ કુરાલીથી કોઠવાવ તરફ કેનાલ રોડ પાસે ઝાડીઓમાં ફેંકેલી કોથળીમાંથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના કુરાલી ગામે રહેતા 65 વર્ષીય કનકસિંહ માનસિંગ ચૌહાણ ગત 18મી તારીખે બાઇક લઇને ઘરે ગયા બાદ પરત ફર્યા ન હતા. તેમના પુત્રએ કરજણ પોલીસ સ્ટેશનમાં પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે કુરાલી ગામ નજીક કુરાલીથી કોઠાવ તરફ જવાના નર્મદા કેનાલ રોડની નીચે એક નાનકડી થેલીમાં કનકસિંહનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે કરજણ સામુહિક આરોગ્ય હોસ્પિટલ ખાતે ખસેડી હતી. કરજણના ધાવટ ગામ નજીકથી મૃતક 65 વર્ષીય કનકસિંહ ચૌહાણનું બાઇક મળી આવ્યું હોવાનું જાણવા મળે છે. કોઈ અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર કનકસિંહની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સંતાડવા માટે કોથળામાં મૂકી લાશને કેનાલ રોડ નીચે નિર્જન જગ્યાએ ફેંકી દીધી હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.