સરગવાડા ધોળકામાં પાણીની કટોકટી: એક તરફ સરકાર લોથલમાં કરોડોના ખર્ચે વિશ્વ કક્ષાનું મ્યુઝિયમ બનાવી ઈતિહાસને જીવંત કરવાની જ્વાળાઓ ફૂંકી રહી છે તો બીજી તરફ આ જ ઈતિહાસના સાક્ષી એવા ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને સ્થાનિક મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે. છેલ્લા 15 દિવસથી પાણીના અભાવે મહિલાઓને તળાવના ગંદા પાણીમાં કપડા અને વાસણો ધોવાની ફરજ પડી છે. આમ મ્યુઝિયમ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવશે, પરંતુ તંત્ર પ્રજાની તરસ છીપાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આને સરકાર ‘વિકાસ’ કહે છે?
લોથલ પાસે તરસ્યું ગામ ‘સરગવાડા’
અમદાવાદના ધોળકાના ભાલ પંથકના સરગવાડા ગામમાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા બે સપ્તાહથી નળમાં પાણી ન આવતાં ગ્રામજનોની હાલત કફોડી બની છે. ગામની સીમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું લોથલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ સરગવાડા ગામ જ પાણી માટે વલખા મારી રહ્યું છે કારણ કે તે દીવા નીચે અંધારું છે. પાણી માટે બૂમો પાડતી મહિલાઓએ કહ્યું, ‘ઘરકામ, રસોઈ અથવા બાળકોની સંભાળ રાખવા કરતાં પાણી ભરવામાં વધુ સમય લાગે છે.’
પાણી લાવતી મહિલાઓ
ભાલ વિસ્તાર હોવાથી હાલ ચણા અને ઘઉંની સિઝન ચાલી રહી છે જેના કારણે પુરુષો ખેતમજૂરી કરવા જાય છે. એવામાં ઘરની તમામ જવાબદારીઓ સાથે પાણીની વ્યવસ્થાનો બોજ મહિલાઓ પર આવી ગયો છે.
પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણ સામે તંત્ર મૌન!
સ્થાનિકોના જણાવ્યા મુજબ ભોલાદ ગામમાંથી પસાર થતી મુખ્ય પાઈપલાઈનમાં અનેક ગેરકાયદે જોડાણો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાલ પંથકની આ ધરતી પર આંતરરાષ્ટ્રિય પ્રવાસન લાવવાની વાતો કરનાર તંત્ર પોતાના જ નાક નીચે ચાલી રહેલા ગેરકાયદેસર જોડાણો સામે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે આ જોડાણો કોની દેખરેખ હેઠળ ચાલે છે? તંત્રના મૌન પાછળનું કારણ શું?
આ પણ વાંચોઃ અમદાવાદઃ સુભાષબ્રિજ તોડીને સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ
મહિલાઓએ કહ્યું, ‘પાણીની એટલી બધી સમસ્યા છે કે અમે 15 દિવસથી પરેશાન છીએ. પીવાનું પાણી લેવા માટે બે કિલોમીટર દૂર જવું પડે છે. તળાવના ગંદા પાણીમાં કપડા ધોવા પડે છે જેના કારણે બીમારીનો ખતરો રહે છે. સરકાર મ્યુઝિયમ બનાવે છે પણ અમને પાણી આપી શકતી નથી.’
પાણીની સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) પોતે સરગવાડા ગામની મુલાકાત લેશે કે કેમ. તેમજ પાણીની પાઈપલાઈનમાં ચાલતા ગેરકાયદેસર જોડાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગામને નિયમિત પાણી મળતું રહે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.