ગોંડલના ગુંદાળા ચોકમાં ગમખ્વાર અકસ્માતઃ રાજકોટથી વિસાવદરના ધ્રાફળ ડેમ પર માછીમારી કરવા જતા પીક-અપ વાન સાથે અથડાતા 16 પૈકી 6 મુસાફરો પુલ પરથી 20 ફૂટ નીચે પટકાયા હતા.
ગોંડલ, : ગોંડલના ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર ગત રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. બોલેરો પીકઅપ વાન પુલની રેલિંગ સાથે અથડાતાં 16માંથી 6 વ્યક્તિ પુલ પરથી નીચે પટકાયા હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ આ શખ્સો રાજકોટથી બોલેરો પીકઅપ વાન લઈને વિસાવદરના ધ્રાફળ ડેમમાં માછલી પકડવા જઈ રહ્યા હતા. બોલેરો પીકઅપ વાનના પાછળના ભાગે માછીમારીની જાળ ભરેલી હતી. તેના પર 16 લોકો બેઠા હતા. દરમિયાન ગત રાત્રીના 11 વાગ્યાના સુમારે ગુંદાળા ચોકડીના ઓવરબ્રિજ પાસે પહોંચેલી બોલેરોવાનના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી. કૃષ્ણનંદન (ઉંમર 25) અને રિતેશ કુમાર સાહાની (ઉંમર 18)નું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બલૂન સહાની બ્રિજ પરથી 20 ફૂટ નીચે પડ્યો હતો.
જ્યારે સન્ની સાહની, વિકાસ સાહની, ચંદન સદા અને ગુલાબ સાહનીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. બંને મૃતક યુવકો બિહારના વતની હતા. હાલ રાજકોટ આજીડેમ પાસે રહે છે અને માછીમારીનો વ્યવસાય કરે છે. બંને અપરિણીત હતા. બોલેરો વાનમાં ઘરવપરાશની ચીજવસ્તુઓ સાથે ગેસ સિલિન્ડર પણ રાખવામાં આવ્યો હતો. સદનસીબે અકસ્માત દરમિયાન ગેસ સિલિન્ડર ફાટ્યો ન હતો. અન્યથા મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. બનાવ સંદર્ભે બી.ડિવીઝન પોલીસના આર.ટી.પરમારે સુરજ સહાનીની ફરિયાદ લઈ બોલેરો ચાલક રાજકોટના મૌલિક ધનજીભાઈ રાઠોડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.