આનંદ સમાચાર: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના કાલસર ગામમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કાલસર ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાં પરિણીતાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અગમ્ય કારણોસર આ પતિ-પત્નીએ કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.
આપઘાતનું કારણ અકબંધ છે
મળતી માહિતી મુજબ નહેરમાંથી મળેલા મૃત દંપતીની ઓળખ કાલસર ગામના ગીતાબહેન અને તેના પતિ શૈલેષકુમાર તરીકે થઈ છે. કાલસર ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં દંપતીએ આપઘાત કરવાના ઈરાદે ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પ્રશાસને કેનાલના પાણીમાં મોટાપાયે શોધખોળ શરૂ કરી હતી. કેનાલના તાણ અને કરંટના કારણે બંનેના મૃતદેહ અલગ-અલગ જગ્યાએ ખેંચાઈ ગયા હતા.
દંપતીના મોતની જાણ થતા ઉમરેઠ પોલીસ મથકનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોનો કબજો મેળવી વિધિવત પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દંપતીએ શા માટે આ કડક પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.