
– રાજ્ય કર્મચારી સંઘની ચીફ ઓફિસરને રજૂઆત
– કામ પર પાછા નહીં લેવામાં આવે તો હડતાળ અને હિંસક આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં અત્યંત પછાત જાતિ એવા વાલ્મિકી સમાજના 250 થી વધુ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. તાજેતરમાં, લગભગ 60 કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદારોને કોઈપણ માહિતી અથવા સૂચના વિના નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, અને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે મ્યુનિસિપલ સત્તાવાળાઓને લેખિત દરખાસ્ત રજૂ કરી હતી જેથી કાઢી મૂકવામાં આવેલા સફાઈ કામદારોને કામ પર પરત કરવામાં આવે.
રજુઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર સંયુકત નગરપાલિકામાં વર્ષોથી કાર્યરત વાલ્મીકી સમાજના 250 જેટલા સફાઈ કામદારો શહેરને સ્વચ્છ રાખવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદારોનો પગાર પણ ચૂકવવામાં આવતો ન હોવાથી પરિવાર માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. નગરપાલિકાના વધતા વિસ્તાર અને વસ્તીને ધ્યાને લઈ 350થી વધુ સફાઈ કામદારોની જરૂરિયાત હોવા છતાં ઓછા સફાઈ કામદારોથી શહેરી સફાઈ કરવામાં આવી રહી છે. જેના કારણે સફાઈ કામદારો પર કામનું ભારણ વધી રહ્યું છે. ત્યારે અચાનક તમામ ઝોનમાંથી સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા છે. વર્ષ 2018માં જનરલ બોર્ડના ઠરાવ મુજબ નગરપાલિકામાં સ્વચ્છતા વિભાગ માટે 140 ફુલટાઇમ મજૂરોની જગ્યા મંજૂર કરવામાં આવી છે. આથી કુલ 280 પાર્ટ ટાઇમ સફાઇ કામદારો રાખવા પડે છે, પરંતુ ફેબ્રુઆરી-2024માં 60 સફાઇ કામદારોને ફરજ પર પરત કરવા સમાધાન થયું હતું. પરંતુ ફરીથી અચાનક ગત 1 સપ્ટેમ્બરથી 60 જેટલા કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સૂચના કે માહિતી વગર છૂટા કરી દેવામાં આવ્યા છે. ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં બરતરફ કરાયેલા સફાઈ કામદારોએ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા પુન: નોકરી પર રાખવાની માંગ સાથે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. જો આ અંગે કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ હિંસક આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
