અમદાવાદ, 2 જુલાઈ, 2026 : સોરઠ વિસ્તારમાં ભારે વરસાદ. ગુરુવારે બપોરે બે વાગ્યા સુધી રાજ્યના 85 તાલુકાઓમાં વરસાદ પડી ગયો છે. જેમાં સોરઠ પંથક પર મેઘરાજા મહેરબાન કરી રહ્યા છે. જૂનાગઢના માંગરોળમાં 7.28 ઈંચ અને કેશોદમાં 5 ઈંચ, ગીરસોમનાથના સુત્રાપાડામાં 5 ઈંચ, જૂનાગઢના માળીયા હાટીના અને વંથલીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના સિનોર, ગીર સોમનાથના પાટણ-વેરાવળ, કોડીનાર, ભરૂચના હાંસોટ, સુરના ઓલપાડ સહિત 80 તાલુકાઓમાં અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 107 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 7.99 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં 35 બકરીઓ અને મહિલાઓ તણાઈ હતી. જોકે, સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી.

સૌરાષ્ટ્રમાં આજે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરિયામાં 3.6 મીટર ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં આજે સવારે 6 થી 2 વાગ્યા દરમિયાન 85 તાલુકાઓમાં વરસાદ પડતાં વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસેના ગોથાણ સુધીના યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાદળો છે. અને ગરમી વધતાં ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે અને વીજળી પડવાની શક્યતા રહેશે.
NDEM પોર્ટલ પરથી પ્રાપ્ત થયેલા INCOIS રિપોર્ટ અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધી દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 2 જુલાઈના રોજ 11:30 PM થી 3 જુલાઈના રોજ 11:30 PM દરમિયાન 3.4 થી 3.6 મીટર એટલે કે 11 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળવાની પ્રબળ શક્યતા છે. દરિયાની આ તોફાની સ્થિતિને જોતા માછીમારો, દરિયાઇ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને દરિયા કિનારે મનોરંજન માટે જતા પ્રવાસીઓને ખાસ તકેદારી રાખવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

