![]()
સુરત : સુરત શિક્ષણ સમિતિની શાળાઓ શરૂ થતાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ફરી એકવાર ભણાવવા સિવાયની અન્ય કામગીરી કરવાની ફરજ પડી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે, શિક્ષકોને વસ્તી ગણતરી, પુસ્તક વિતરણ, સ્વચ્છતા અભિયાન, પ્રવેશોત્સવ અને હવે ધોરણ 10-12ની પૂરક પરીક્ષાઓની દેખરેખ સોંપવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં તમામ પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી અને નિયમિત અભ્યાસ પણ શરૂ થયો નથી ત્યારે તંત્ર શહેરમાં 125 શિક્ષકોને પરીક્ષાની ફરજ માટે ઓર્ડર અપાતા વર્ગખંડો કરતાં શિક્ષકો વધુ વ્યસ્ત છે.
સમિતિના શિક્ષકો માટે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરની જવાબદારી નિભાવી રહેલા શિક્ષકો પર ફરી એકવાર શિક્ષણ કરતાં વધુ બિન-શૈક્ષણિક ફરજોનો બોજ આવી ગયો છે. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. બીજી તરફ, શૈક્ષણિક કામગીરી કરતાં શિક્ષકો સામે વધુ વહીવટી અને બિન-શૈક્ષણિક જવાબદારીઓનો ઢગલો થયો છે. આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, ગણવેશ અને બૂટ-મોજાં વિતરણનું કામ શિક્ષકોએ સંભાળવું પડશે. આ સાથે પ્રવેશ ઉત્સવ અને સ્વચ્છતા અભિયાન જેવી પ્રવૃતિઓમાં પણ તેમની ફરજ નક્કી કરવામાં આવી છે. આ તમામ કામગીરી વચ્ચે શિક્ષકોએ પણ મહત્વની રાષ્ટ્રીય સ્તરની વસ્તી ગણતરીની કામગીરી માટે તૈયાર રહેવું પડે છે. શિક્ષણ અને વસ્તી ગણતરી વચ્ચે સમયનું સંતુલન રાખવું મુશ્કેલ બનતું હોવાથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની દેખરેખ વધારાની જવાબદારી તરીકે શિક્ષકોના ખભા પર મૂકવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સમિતિના અંદાજે 125 શિક્ષકોના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે.
આ શિક્ષકોએ પરીક્ષાની કામગીરી પહેલા તાલીમમાં પણ હાજરી આપવી પડશે. શિક્ષણ સમિતિની શાળાઓ પહેલેથી જ શિક્ષકોની અછત અને વિવિધ વહીવટી પડકારો વચ્ચે ચાલી રહી છે. આવા સંજોગોમાં જો મોટી સંખ્યામાં શિક્ષકો પૂરક પરીક્ષા ફરજ માટે શાળાની બહાર હોય તો વર્ગખંડમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધુ ઘટી શકે છે. પરિણામે નવા સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસથી જ શિક્ષકો અનેકવિધ ફરજો બજાવી રહ્યા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પૂરતો સમય અને માર્ગદર્શન કોણ આપશે? જો શિક્ષકોનો મોટો હિસ્સો બિન-શૈક્ષણિક પ્રવૃતિઓમાં વ્યસ્ત હશે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર અને પરિણામો પર પડશે તે નિશ્ચિત છે. શિક્ષણ જગતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શિક્ષકોએ વારંવાર બિન-શૈક્ષણિક અને પરીક્ષા સંબંધિત ફરજોમાં વ્યસ્ત રહેવાને બદલે શિક્ષણ કાર્યને પ્રાથમિકતા આપવાની જરૂર છે.