![]()
સુરત : સુરત મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર જાહેરાતો સામે કડક કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાએ 6,038 ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો દૂર કર્યા છે, 24 પોલીસ ફરિયાદ નોંધાવી છે અને 51,000 નો દંડ ફટકાર્યો છે. જો કે, ગેરકાયદે હોર્ડિંગ બેનરો લગાવનારાઓને નગરપાલિકાનો કોઈ ડર ન હોય તેમ શહેરમાં આજે પણ સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરોનું જંગલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સુરતમાં હજારો વૃક્ષો પર ખીલા લગાવીને વૃક્ષોને નુકસાન પહોંચાડતી જાહેરાતો મુકવામાં આવી રહી છે. આવા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની સાથે સુરતની સુંદરતામાં વધારો કરવા ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 6,038 વિવિધ પ્રકારના ગેરકાયદેસર જાહેરાત માધ્યમોને દૂર કર્યા છે. આ કામગીરીથી નગરપાલિકાએ 21,717 ચો.ફૂટ વિસ્તારને ગેરકાયદેસર જાહેરાતમાંથી દૂર કરી દીધો છે. પાલિકાનો આ પ્રયાસ સારો છે પણ પશેરામાં પહેલા પુના જેવો ઘાટ સર્જાયો છે. ગેરકાયદે હોર્ડિંગ્સ-બેનરો લગાવનારાઓ સામે અત્યાર સુધીમાં નગરપાલિકા પ્રશાસન દ્વારા 24 પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં ગેરકાયદે જાહેરાત કરનારાઓને પાલિકાના વહીવટીતંત્રનો કોઈ ડર નથી.
સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હોવા છતાં શહેરના મુખ્ય માર્ગો, ફ્લાયઓવર, ટ્રાફિક સર્કલ અને વ્યસ્ત વિસ્તારો પર હજુ પણ ગેરકાયદે રીતે હોર્ડિંગ્સ અને બેનરો ઉભા જોવા મળે છે. રાજકીય ઘટનાઓ, સામાજિક કાર્યક્રમો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને વિવિધ વ્યાપારી સંસ્થાઓ આડેધડ રીતે જાહેર સ્થળોનો જાહેરાત માટે ઉપયોગ કરી રહી છે, જેનાથી શહેરની સુંદરતામાં ઘટાડો થાય છે.
એક તરફ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ શહેરમાં અનેક વૃક્ષોને ખીલી, દોરીથી બાંધી અને બેનરો લગાવી ગેરકાયદેસર જાહેરાતો કરવામાં આવી રહી છે. આવા કાર્યોથી ઝાડના થડને નુકસાન થાય છે. પર્યાવરણની જાળવણીની મોટી મોટી વાતો વચ્ચે વૃક્ષોને નુકસાન કરનારાઓ સામે કડક કાર્યવાહીના અભાવે અનેક લોકો ગેરકાયદેસર જાહેરાતો કરી વૃક્ષોને નુકસાન કરી રહ્યા છે.
પર્યાવરણવાદીઓ અને સુરતીઓ માને છે કે માત્ર બોર્ડ હટાવવાથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. ભારે દંડ, પોલીસ કાર્યવાહી અને ખર્ચની વસૂલાત જેવી ગેરકાયદેસર જાહેરાતો મૂકનાર વ્યક્તિઓ, એજન્સીઓ, સંસ્થાઓ અને રાજકીય-સામાજીક સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જ શહેર ગેરકાયદેસર બેનરોના જંગલમાંથી મુક્ત થશે.