ભુજમાં ફૂડ પોઈઝનિંગની ઘટના ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકો અચાનક બીમાર પડ્યા હતા. જે બાદ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની તબિયત લથડી
મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના લોડાઈ ગામે ફૂડ પોઈઝનીંગની ઘટના બની છે. ગામના 35 થી વધુ લોકોને પાણીપુરી ખાધા પછી ઉલ્ટી, ઉબકા અને પેટમાં દુખાવો થયો હોવાનું નોંધાયું છે. અચાનક તબિયત લથડતા બાળકો, મહિલાઓ સહિત અસરગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જો કે તમામ અસરગ્રસ્તોની તબિયત હવે સ્થિર હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતઃ પ્રસાદીના બહાને ઝેર પીને પરિવારની હત્યાનો પ્રયાસ, પાડોશી મહિલાએ કાવતરું ઘડ્યું હોવાનું ખુલ્યું
ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે ગામના સરપંચે જણાવ્યું કે, ‘સાવધાની રૂપે ગામમાં ખાદ્યપદાર્થોની દુકાનો અને ટ્રકો બંધ કરી દેવામાં આવી છે.’ આ ઘટના બાદ પાણીપુરીની લારી ચલાવનાર વ્યક્તિ ગામમાંથી ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે.
આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ફૂડ પોઇઝનિંગ કેસના જવાબમાં, આરોગ્ય ટીમ ગામમાં પહોંચી હતી અને 225 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. અસરગ્રસ્તોમાં 20 પુરૂષો અને 16 થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે પાણીપુરીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

