![]()
અમદાવાદ-ભુજ રૂટની બસ નાસ્તો કરવા ઉભી રહી
ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે લીંબડી સરકારી દવાખાને ખસેડાયો : ચાલક સામે કડક કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે લીંબડી એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરો પણ સલામત ન હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદથી ભુજ જતી એસટી બસ દ્વારા બસ સ્ટેન્ડની અંદર એક મુસાફરને અડફેટે લેતાં તેણે પગ ગુમાવ્યો હતો. આ બનાવથી એસ.ટી ‘સલામત સવારી‘ના દાવાઓ પર સવાલો ઉભા થયા છે
મળતી માહિતી મુજબ અમદાવાદ-ભુજ નારાયણ સરોવર એસટી બસને લીંબડી બસ સ્ટેન્ડ પર ચા-નાસ્તો કરવા માટે રોકી દેવામાં આવી હતી. અશોકભાઈ નામનો મુસાફર બસમાંથી નીચે ઉતર્યો હતો. દરમિયાન ડ્રાઇવરે અચાનક બસને પાછળ હંકારી લેતાં અશોકભાઇનો પગ બસના ટાયર નીચે આવી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટના બાદ બસ સ્ટેન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક વધુ સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મુસાફરની હાલત ગંભીર હોવાનું કહેવાય છે કારણ કે તેના પગમાં ગંભીર ઈજા થઈ છે.
ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. એસટી બસના ચાલકો દ્વારા બસ સ્ટેન્ડ પર બેદરકારીપૂર્વક બસો ચલાવવામાં આવી હોવાનો આક્ષેપ કરી જવાબદાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
