![]()
ધર્મ પરિવર્તન કેસ: સુરત જિલ્લાના માંડવી શહેરમાં મહિલા દર્દીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય આરોપી ડોક્ટરની ધરપકડ બાદ તેના પિતા કે જેઓ વ્યવસાયે સરકારી શાળાના આચાર્ય છે તેમની પણ ધર્માંતરણ પ્રવૃત્તિમાં ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
માંડવી ખાતે ક્લિનિક ધરાવતા ડૉ. અંકિત રામજીભાઈ ચૌધરી (ઉ. 30 વર્ષ) તેના પતિની સારવાર માટે આવેલી મહિલાને ડોક્ટરે પ્રેમજાળમાં ફસાવી હતી. ડોક્ટરે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેની સામે એવી શરત મૂકી હતી કે ‘તમે તમારા આખા પરિવારનું ધર્માંતરણ કરશો તો જ હું તમારી સાથે લગ્ન કરીશ.’ આ અંગે મહિલાએ 16 મે 2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ડૉ.અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં ડો.અંકિતના પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરી (ઉંમર 56)ની પણ ગંભીર સંડોવણી બહાર આવી હતી. રામજીભાઈ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરે છે. તેઓ ખ્રિસ્તી ધર્મમાં ‘પાદરી’ તરીકે પણ કાર્ય કરે છે. રામજીભાઈએ 2014માં ‘ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી, જેના તેઓ પ્રમુખ છે.
પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે માંડવી પંથકના લોકો ડો.અંકિત ચૌધરીને ત્યાં જતા હતા. ત્યારે અંકિતે તેના પિતા રામજીભાઈનો સંપર્ક કર્યો હતો. રામજીભાઈ બીમાર વ્યક્તિને સાજા કરવા માટે પ્રાર્થના અને બાધા રાખવાનું કહીને ધાર્મિક વિધિઓના નામે ધર્મ પરિવર્તન માટે પ્રયત્નો કરતા હતા. પોલીસને પુરાવા મળ્યા છે કે તેઓ ગરીબ અને ભોળા લોકોને લાલચ આપી ધર્માંતરણ કરી રહ્યા છે.
આ કેસની તપાસ માંગરોલ ડીવાયએસપી બી.કે.વનારે કરી હતી. પુરાવાના આધારે, પોલીસે ‘ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ 2021’ ની વિવિધ કલમો હેઠળ રામજીભાઈ ચૌધરીની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ ટ્રસ્ટની આવકના સ્ત્રોત અને અન્ય લોકોની સંડોવણી અંગે સઘન તપાસ કરી રહી છે.