![]()
સુરત કોર્પોરેશન : સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓની ગુણવત્તા ફરી એકવાર પ્રશ્નના ઘેરામાં આવી છે. પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં સિટી બસ રોડની વચ્ચે પલટી જતાં સાત મુસાફરોને ઇજા પહોંચી હતી. વરસાદી પાણીના કારણે ભુવો દેખાઈ ન શકતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી હતી, પરંતુ આ ઘટનાએ માર્ગ નિર્માણની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
પાલિકાના ઉધના ઝોનના ગણેશ નગર વિસ્તારમાંથી પસાર થતી મુસાફરોથી ભરેલી સિટી બસ રોડ વચ્ચે ફસાઈ ગઈ હતી. અકસ્માત એટલો અચાનક હતો કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને વિન્ડશિલ્ડનો ભાગ પણ તૂટી ગયો હતો. આ ઘટનામાં બસમાં સવાર સાત મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારના વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. પરિણામે, બસના ડ્રાઇવરને રસ્તા પરનો બમ્પ નજરે પડ્યો ન હતો અને બસ સીધી તેમાં ખાબકી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો બસની સ્પીડ વધુ હોત તો ઘટના વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકી હોત.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં રોડ તૂટી પડતા એક ડમ્પર ફસાઈ ગયું હતું. ડ્રેનેજ અને અન્ય કામો બાદ રસ્તાના પુનઃનિર્માણમાં ગુણવત્તાના અભાવના આક્ષેપો પણ તે સમયે થયા હતા. હવે પાંડેસરાની ઘટનાએ આવી પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.
