સુરત સર વિવાદ: હાલમાં સુરત સહિત દેશભરમાં SIR એટલે કે મતદારયાદી સુધારણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને સ્ફોટક પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જેનાથી શહેરની સુરક્ષા સામે ખતરો ઉભો થઈ શકે છે.
ગેરકાયદે ઘૂસણખોરોને ટાર્ગેટ કરો
સાંસદ મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું છે કે હાલમાં BLO-1 અને BLO-2 મતદાર યાદીની સફાઈ માટે ઘરે-ઘરે જઈ રહ્યા છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે જેઓ ભારતના નાગરિક નથી અને મતદાર તરીકે ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે.
‘મતદારો પાતળી હવામાં ઓગળી ગયા કે શું?’ – સાંસદનો પ્રશ્ન
પત્રમાં સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સને ટાંકીને ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સાંસદે લખ્યું કે જ્યારે બીએલઓની ટીમ સુરતના કેટલાક ‘બદનામ’ વિસ્તારોમાં નોંધણી માટે ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરોને તાળા મારીને ગાયબ થઈ ગયા હતા. જો આ મતદારો સાચા અને કાયદેસરના નાગરિક હોય તો તપાસના ડરથી ભાગવાની શી જરૂર? આટલી મોટી સંખ્યામાં લોકો રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા? શું તેઓ હવામાં ઓગળી ગયા?
શહેરની શાંતિ અને ઓળખ માટે ખતરો
મુકેશ દલાલે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આ રીતે લોકોનું ગુમ થવું સુરત શહેરની શાંતિ, સુરક્ષા અને ઓળખ માટે જોખમી છે. તેઓએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આ ગુમ થયેલા લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે. આ લોકો કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા છે કે કેમ તેની સઘન તપાસ થવી જોઈએ અને તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ.
રાજકીય ગરમાવો
SIRના કામકાજમાં નામ કમી થવાને કારણે પહેલેથી જ હોબાળો થયો હતો, ત્યારે હવે સાંસદના આ પત્રે તેને નવો વળાંક આપ્યો છે. હાલમાં આ પત્ર સુરતના જાહેર અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.