સુરત : સુરત મહાનગરપાલિકામાં 213 કરોડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવો કોન્ટ્રાક્ટર ન મળતા વધુ 10 મહિના માટે કચરાના નિકાલની કામગીરી એક કૌભાંડી એજન્સીને સોંપવામાં આવી છે. દરમિયાન, છેલ્લા 52 દિવસમાં સતત બીજી આગથી આશંકા વધી છે. આગ લાગી કે લગાડવામાં આવી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. ખાજોદ કચરા કૌભાંડની તપાસ ધીમી પડી છે પરંતુ આગ હજુ પણ ધીમી નથી પડી રહી. સતત બીજા દિવસે પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હોવાથી આગ લાગવાનું કારણ શોધવા માંગ ઉઠી છે.
વાપીના કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ દ્વારા દરરોજ સુરતનો 2500 મેટ્રિક ટન કચરો ઉપાડીને ઉલેચી ખાજોદ ખાતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે મહુવાના કાંકરીના ખાડામાં ફેંકી દેવાતા પોલીસ ફરિયાદ બાદ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ કૌભાંડના કારણે સુરત મહાનગરપાલિકાની છબી ખરડાઈ છે અને કચરા કૌભાંડની તપાસ કોઈને કોઈ કારણોસર ઠંડો પડી ગઈ છે. આજે સતત બીજો દિવસ છે કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે અંગે વિવાદ સર્જાયો છે.
આ આગ અંગે મ્યુનિ. કમિશનરથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આગના કારણો શોધવા, પોલીસમાં ફરિયાદ કરવા, કચરો સળગાવવાથી વાયુ પ્રદૂષણ અટકાવવા, આગ બુઝાવવા અને ઘન કચરાના ગેરકાયદે નિકાલની તપાસમાં ઢીલ દૂર કરવા, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા અને તેમને બ્લેક લિસ્ટ કરવા, ગરકેલ આગ લગાડવાના કેસમાં જવાબદારો સામે તપાસ અને પગલાં લેવા સહિતની માંગણી કરવામાં આવી છે.
આગ ભ્રષ્ટાચારના પુરાવાઓને ઢાંકવાનો પ્રયાસ હોવાનો આરોપ છે. આ સાથે ભૂતકાળમાં ખાજોદ ખાતે સીસીટીવી કેમેરા લગાવવા બાબતે તપાસની માંગ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તેથી હવે ફરીથી સીસીટીવીના આધારે તપાસની માંગ કરવામાં આવી રહી છે.
આગના કારણે પ્રદૂષણની ફરિયાદો
સુરત મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગના કારણે શહેરમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ખાજોદ સાઇટ પર સતત લાખો ટન કચરો સળગાવવાથી ભારે ધુમાડો નીકળી રહ્યો છે અને શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે, જેના કારણે AQIમાં વધારો થતાં લોકોના આરોગ્યને અસર થઈ રહી છે. આ સાથે પ્રદુષણ પર નિયંત્રણની સાથે સાથે જીપીસીબી દ્વારા ખાજોદ ડમ્પીંગ સાઈટ પર પણ પ્રદુષણ માપવાના સાધનો મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ કોન્ટ્રાક્ટરના બાકી બિલો પાલિકામાં પાસ કરાવવા માટે કેટલાક દલાલો મથામણ કરી રહ્યા છે જેના કારણે આ આગની તપાસ કરી દોષિતો સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.