સુરતના ઉધના વિસ્તારમાં એક જર્જરિત ઈમારત અંબર નગરના રહેવાસીઓ માટે જીવતા બોમ્બ સમાન છે.
અપડેટ કરેલ: 8મી જુલાઈ, 2024
સુરત જર્જરિત મકાન : સુરતના પાલી ખાતે બનેલી બિલ્ડીંગ દુર્ઘટના બાદ સુરતમાં જર્જરિત ઈમારત સામે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. સુરતમાં ઘણી ઇમારતોમાં મકાનમાલિકો અને ભાડૂતો વચ્ચેના વિવાદને કારણે મિલકતો વધુ જર્જરિત છે. જેના કારણે સુરતમાં હરીપુરા અને પાલી જેવી ઈમારતોમાં દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. સુરતના ઉધનાના અંબર નગરમાં એક જર્જરિત એપાર્ટમેન્ટ લોકો માટે આફત બની રહેવાની આશંકા છે. બિલ્ડિંગનો માલિક મુંબઈમાં રહે છે અને માત્ર ભાડૂત છે. આ બિલ્ડીંગ જર્જરિત હોવાથી પાલિકાએ અગાઉ નોટિસ આપી હતી અને આજે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનમાં અંબર નગર વિસ્તાર આવ્યો છે જેમાં ઝૈનબ એપાર્ટમેન્ટ આવ્યું છે. આ એપાર્ટમેન્ટના લોકોએ પાલિકામાં અરજી કરી છે. આ અરજીમાં તેઓએ જણાવ્યું છે કે આ એપાર્ટમેન્ટ છેલ્લા 8 વર્ષથી જર્જરિત છે. છેલ્લા પાંચ વર્ષમાં ઘણી નોટિસો આપવામાં આવી છે અને ક્યારેક સ્લેબ પડી જવાના બનાવો પણ બન્યા છે. આ બિલ્ડીંગ જર્જરિત હોવા છતાં મકાન માલિકને તેની પડી નથી. આ ઈમારતમાં લગભગ 100 લોકો રહે છે અને તેમના તમામ જીવ જોખમમાં છે. જેથી નગરપાલિકા કડક કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે.
સુરતના પાલી ખાતે બનેલી બિલ્ડીંગ દુર્ઘટના બાદ મ્યુનિસિપલ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને આ અરજીના આધારે આજે ઝોનના અધિકારીઓએ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન આ બિલ્ડીંગમાં માલિક અને ભાડુઆત વચ્ચે બોલાચાલી ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે.