![]()
આજે મહાશિવરાત્રીના દિવસે સુરતીઓ શિવમય બની ગયા હતા જેના કારણે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને અનેક જગ્યાએ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સુરતમાં આજે શિવરાત્રીની આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે શિવરાત્રીની સાથે સાથે અનેક મંદિરોએ સમાજ સેવાને શિવભક્તિ સાથે જોડીને રક્તદાન કેમ્પ અને તમામ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે.
આજે રવિવાર અને મહાશિવરાત્રીના સંગમને કારણે આજે વહેલી સવારથી જ સુરત શહેર જિલ્લાના શિવ મંદિરોમાં શિવભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. શિવરાત્રી હોવાથી શહેરના શિવ મંદિરોને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. સુરતીઓમાં શિવરાત્રીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેના કારણે સવારના ચાર વાગ્યાથી જ વિવિધ પૂજાનો પ્રારંભ થયો હતો. સુરત શહેરની રહેણાંક સોસાયટીઓમાં નવનિર્મિત શિવ મંદિરો તેમજ પૌરાણિક મંદિરોમાં ભગવાન મહાદેવની પૂજા કરવા માટે શિવભક્તો ઉમટી પડ્યા હતા.
શિવ મંદિરોનું આજે વિશેષ મહત્વ છે જેના કારણે શિવ મંદિરોમાં ચારેય પ્રહરની પૂજા થતી હતી. વહેલી સવારથી મંદિરો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. મંદિરમાં આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન વર્ષોની પરંપરા મુજબ મહાદેવજીને ભજન અને ઘીનાં કમળ અર્પણ કરવામાં આવશે અને સોમવારથી ભક્તો દર્શન કરી શકશે.
સુરતના અનેક મંદિરોમાં શિવભક્તિ સાથે સમાજ સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અનેક મંદિરોમાં બ્લડ કેમ્પ સરોગા નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક સ્થળોએ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રીમાં વડીલોની સાથે યુવાનો પણ ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરતા જોવા મળ્યા હતા.


