વડોદરાઃ સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના પરિવારજનોએ પોલીસ અને અન્યો સામે ગંભીર આક્ષેપો કરીને ચકચાર મચાવી છે. 34 વર્ષીય પ્રફુલસિંહ સોલંકીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. આ બનાવને લઈને સાવલી તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતા
સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધનતેજના રહેવાસી પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર માનસિક તણાવ અને હતાશામાં હતા, એમ પરિવારજનોએ જણાવ્યું હતું. તેઓએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આ અંગે દેસર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ સ્થળ પર જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.
ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો છે. મેડિકલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
હાલમાં, સમગ્ર મામલે પરિવારના સભ્યો દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જેથી આક્ષેપોની સત્યતા અંગે તપાસ બાદ જ ચિત્ર બહાર આવશે. પોસ્ટમોર્ટમ બાદ જ્યાં સુધી પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સ્થાનિક લોકોમાં પણ ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. હવે તમામની નજર પોલીસ ફરિયાદ અને તપાસ પર કેન્દ્રિત છે.
પરિવારનો ગંભીર આક્ષેપ..પોલીસ કર્મીઓ માનસિક ત્રાસ આપતા હતા
આ ઘટના અંગે મૃતકના પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. દેસર પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ દ્વારા પ્રફુલસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે પરિવારના સભ્યોએ પણ કહ્યું છે કે તેઓ ઘણા દબાણમાં છે. પરિવારના સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘તમે ભાજપને ટેકો આપતા હતા’ જેવા મુદ્દાઓને લઈને પ્રફુલ સિંહ સાથે અવારનવાર ઝઘડા અને મતભેદો થતા હતા. સતત માનસિક દબાણ, સતામણી અને તણાવને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે.
