છેડતીનો કેસ: સુરતના લિંબાયત-શાહપુરા વિસ્તારમાં સરકાર સંચાલિત સસ્તા અનાજની દુકાનો ચલાવતા વેપારીઓને કથિત રીતે ધમકી આપવા અને હપ્તા માંગવા બદલ આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર સહિત બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ વેપારી પર કાળાબજારનો આક્ષેપ કરી દુકાન બંધ કરાવવાની ધમકી આપી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
લિંબાયત વિસ્તારના મહામંત્રી શ્રવણ મુલારામ જોશી અને તેમના સાથીદાર સંપત ચૌધરી મળીને આ ખંડણી નેટવર્ક ચલાવતા હતા. બનાવની વિગત મુજબ શ્રવણ જોષીએ ફેસબુક પર દુકાનદારનો વિડિયો અપલોડ કરીને દબાણ ઊભું કર્યું હતું. ત્યારબાદ તેના માણસો દુકાને પહોંચ્યા હતા અને ધમકી આપી હતી કે, ‘તારે દુકાન ચાલુ રાખવી છે?’ જો ચાલુ રાખવું હોય તો દર મહિને રૂ. 50,000 હપ્તે ભરવાના રહેશે. આરોપીઓએ રૂ. 1 લાખ લીધા હતા અને ગુપ્ત રીતે પૈસા પડાવી લીધાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો જેથી ભવિષ્યમાં બ્લેકમેલ કરી શકાય.
વારંવારની હેરાનગતિ અને હપ્તાની માંગણીથી કંટાળીને આખરે દુકાનદારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે છટકું ગોઠવ્યું અને લિંબાયત વિસ્તારમાંથી કાર્યકરો શ્રવણ જોશી અને સંપત ચૌધરીની ધરપકડ કરી. આરોપીઓ સામે લિંબાયત અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર લિંબાયત જ નહીં અન્ય આઠથી વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા છે. આરોપીઓ વેપારીઓને લાયસન્સ કેન્સલ કરવાની અને બદનક્ષી કરવાની ધમકી આપી ગેરકાયદે ખંડણી કરતા હતા.