![]()
મુક્તાનંદ સર્કલથી કલાદર્શન ચાર રસ્તા સુધીના છ માર્ગીય રોડ પરની ફૂટપાથ ગેરકાયદેસર અતિક્રમણના કારણે દેખાતી નથી. રોડની બંને બાજુ ફૂટપાથ પર કાયમી દબાણો સર્જાયા છે જેના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે.
દરેક જગ્યાએ ફૂટપાથ પર બાંધકામ કરવામાં આવ્યું છે, કેટલાક લોકોએ શેડ ઉભા કરીને કબજો કરી લીધો છે. ઘણી જગ્યાએ વાહનો કાયમ માટે પાર્ક કરવામાં આવતા હોવાથી ફૂટપાથ સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે. ભારે ટ્રાફિકમાં રસ્તા પર ચાલવું જોખમી બની જાય છે.
ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. આ રોડ પર ચાર શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓને પણ રોજેરોજ જોખમો વચ્ચે અવરજવર કરવી પડે છે. પરિણામે વાલીઓ પણ ચિંતિત છે.
ફૂટપાથ પરના દબાણો હવે એટલી હદે વધી ગયા છે કે કેટલીક જગ્યાએ તો વાહનચાલકોને પોતાનો સામાન રોડ પર જ મુકીને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉમાચર રોડ અને ગધેડા માર્કેટ પાસે દબાણોના કારણે રોડ સિંગલ રોડ જેવો બની ગયો છે.
આ રોડ શહેરનો મહત્વનો અને સતત ધમધમતો રસ્તો માનવામાં આવે છે. અહીંથી દરરોજ ભારે વાહનો સહિત હજારો વાહનો પસાર થતા હોવાથી ફૂટપાથની જરૂરિયાત વધુ છે. જોકે સર્વત્ર દબાણના કારણે મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
સ્થાનિક રહીશો અને રાહદારીઓએ તાત્કાલિક ફૂટપાથને ડીકોમ્પ્રેસ કરવાની માંગ કરી છે.
