સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મિલકત સામે આક્રમક કાર્યવાહીઃ નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની નોટિસ બાદ માલિકો દોડી આવ્યા
અપડેટ કરેલ: 17મી જૂન, 2024
સુરત કોર્પોરેશન સમાચાર : સુરત મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં શહેરમાં જર્જરિત મિલકતોની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં જાણવા મળ્યું હતું કે શહેરમાં હજુ પણ 242 મિલકતો તોડી પાડવાની જરૂર છે. જો માલિકો દ્વારા જર્જરિત મિલકતો દૂર કરવામાં નહીં આવે તો પાલિકાએ આવી મિલકતોના નળ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાનો આદેશ કર્યો છે. પાલિકાના આદેશ બાદ તમામ ઝોનમાં જર્જરીત મિલકતો પર જાહેર નોટિસ લગાવીને બિલ્ડીંગ દૂર કરવાની અને નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઈમારતોના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાની નોટિસો આપવામાં આવતા મિલકતદારોમાં દોડધામ મચી ગઈ છે. જો કે, જો હાલમાં સમારકામ ન થઈ શકે તો તાત્કાલિક સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ શહેરની મિલકતોમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમીશનની ચકાસણી શરૂ કરી છે. હાલમાં ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે શહેરમાં જર્જરિત મિલકતોમાં અકસ્માતની શક્યતાઓ જોવાઈ રહી છે. કમિશનરે શુક્રવારે જર્જરિત ઈમારતો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉધના બી ઝોન કનકપુર કનસાડ ઝોનમાં સૌથી વધુ જર્જરિત મિલકતો 171 હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વરાછા એ અને વરાછા બી ઝોનમાં એક પણ જર્જરિત મિલકત ન હોવાનું બહાર આવ્યું છે.
આ બેઠક દરમિયાન મુન. કમિશનરે જર્જરિત મિલકતોમાં રહેતા માલિકો અથવા કબજેદારોને જો તેઓ મિલકતની મરામત ન કરે તો તાત્કાલિક નળ અને ડ્રેનેજ જોડાણો કાપી નાખવાનો આદેશ આપ્યો હતો. આ સલાહ બાદ તમામ ઝોન દ્વારા જર્જરિત મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના ઝોન દ્વારા તૈયાર કરાયેલા બેનરમાં જણાવવામાં આવ્યું છે કે મિલકત જર્જરિત હોવાને કારણે રહેવાલાયક નથી. આ મિલ્કત રહીશો અને વટેમાર્ગુઓ માટે જોખમી હોવાની નોટિસ બાદ પણ જો મિલકતનો ઉપયોગ બંધ નહીં કરાય તો પાલિકા દ્વારા મિલકત તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે. આ સાથે મિલકતનો તાત્કાલિક ઉપયોગ બંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે. પાલિકાની આ સૂચનાને પગલે જર્જરિત મિલકતોમાં રહેતા મિલકતધારકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઉપયોગ બંધ કરી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની કામગીરી માટે કવાયત શરૂ કરી હતી.