સુરત કોર્પોરેશન : સ્વચ્છતામાં દેશમાં પ્રથમ નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકા આ ક્રમ જાળવી રાખવા લોકોને સ્વચ્છતા માટે અપીલ કરે છે. પરંતુ સ્વચ્છતાના મુદ્દે પાલિકાનો ઘાટ દીવા તળે અંધારું બની રહ્યું છે. સુરતના મેયરે આજે (14 ઓગસ્ટ) વરાછા ઝોનની ઓચિંતી મુલાકાત લીધી હતી અને વરાછા ઝોનમાં કેટલીક ઓફિસો બિન-સ્વચ્છતા હોવાનું જણાયું હતું. તેઓએ પાલિકાના અધિકારીઓને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમ છતાં પાલિકાની કચેરીમાં ગંદકી હોય તો ગંદકી કરવા બદલ લોકોને દંડ વસુલવામાં આવે તો તેમની સામે કોણ કાર્યવાહી કરશે? તેવો પ્રશ્ન ઉભો થયો છે.
સુરતના મેયર દક્ષેશ માવાણી આજે સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની ઓચિંતી મુલાકાતે ગયા હતા. મેયરને કેટલીક કચેરીઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે તેઓએ અધિકારીઓને ભેગા કરી પાલિકા કચેરીમાં સ્વચ્છતા જાળવવા તાકીદ કરી હતી.
જો કે મેયરની આ ઓચિંતી મુલાકાતને કારણે લોકોને સ્વચ્છતા અંગે શીખવતી મહાપાલિકા કચેરીમાં જ સ્વચ્છતા ન હોવાનો પ્રશ્ન ઉભો થયો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઈન્દોર દેશમાં પ્રથમ ક્રમે આવ્યા છે. જે બાદ હવે પછીના સ્વચ્છતા સર્વેની તૈયારી પાલિકા તંત્રએ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકામાં દલા તરવાડીનું શાસનઃ ટેન્ડર વગર મેનપાવર સપ્લાય એજન્સીને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ યુ-ટર્ન
સુરત મહાનગરપાલિકા લોકોને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાના પાઠ ભણાવવા માટે નંબર વન તરીકે અપીલ કરી રહી છે. પાલિકા માટે શરમજનક બાબત છે કે પાલિકાની વરાછા ઝોન કચેરીમાં ગંદકી જોવા મળી રહી છે. જો લોકો ગંદકી કરે છે તો પાલિકા લોકોને દંડ કરે છે અને નોટિસ પણ ફટકારે છે. અહીં પાલિકા કચેરીમાં જ ગંદકી જોવા મળી રહી છે. કોને નોટિસ મળશે અને દંડ કોની પાસેથી વસૂલવામાં આવશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.