![]()
વડોદરા રામનાથ તળાવ : વડોદરા શહેરના ખરરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવના બ્યુટીફિકેશન અને વૃક્ષારોપણની કામગીરીને લઈને કોંગ્રેસે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આજે વોર્ડ નં-14ના રામનાથ તળાવ ખાતે વિરોધ પ્રદર્શન કરી વિવિધ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.
વિરોધ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર-14ના કોંગ્રેસી કાઉન્સિલરો દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ, અમિત ગોટીલકર સહિત પક્ષના અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ તળાવ પરિસરની મુલાકાત લીધી હતી અને સ્થળ પરની પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના આક્ષેપ મુજબ રામનાથ તળાવના બ્યુટીફિકેશન પાછળ ખર્ચ કરવા છતાં તળાવની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. હાલમાં પણ તળાવમાં ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે જેના કારણે બ્યુટીફીકેશનની કામગીરીનો હેતુ સિદ્ધ થતો નથી.
આ ઉપરાંત તાજેતરમાં ભાજપ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ પર પણ કોંગ્રેસે નિશાન સાધ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે, વૃક્ષારોપણ બાદ છોડની યોગ્ય રીતે માવજત કરવામાં આવી ન હતી, જેના કારણે મોટી સંખ્યામાં છોડ સુકાઈ ગયા હતા.
વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પૂર્વ વિસ્તારમાં વિકાસના કામોને પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ જૂના શહેર વિસ્તારના વિકાસ પ્રત્યે તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. કોંગ્રેસે જૂના શહેર વિસ્તારમાં તળાવની સફાઈ, વૃક્ષોનું જતન અને વિકાસના કામોને પ્રાધાન્ય આપવા વહીવટી તંત્રને માંગ કરી હતી.