![]()
અમદાવાદ સમાચાર: અમદાવાદનું ગૌરવ ગણાતા જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરની જમીનને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આરોપ છે કે મંદિરના ટ્રસ્ટીઓએ નિયમોનું ઉલ્લંઘન કરીને અંદાજે 60 કરોડ રૂપિયાની જમીન વારંવાર વેચી દીધી છે. આ મામલે સામાજિક કાર્યકરો દ્વારા સરકાર મંદિરનો વહીવટ સંભાળે તેવી માંગ ઉગ્ર બની છે.
શું છે સમગ્ર વિવાદ?
મળતી માહિતી મુજબ વર્ષ 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા વિસ્તારમાં નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને આશરે 1.50 લાખ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. આ જમીનની કુલ કિંમત હાલમાં 450 કરોડ રૂપિયા છે. એવો આરોપ છે કે આ જમીનનો 28,000 ચોરસ મીટર વર્ષ 2018માં ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી રીતે વેચવામાં આવ્યો હતો. આ જમીનનો સોદો પડદા પાછળ 45 કરોડ રૂપિયામાં થયો હોવાનું કહેવાય છે. સરકારી દસ્તાવેજો અને રેકોર્ડમાં માત્ર રૂ.7 કરોડ દર્શાવાયા છે. બાકીના 38 કરોડ રૂપિયા બારોબાર ગાયબ થયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગોપાલ ઈટાલિયાની મુશ્કેલી વધશે! મહેસાણા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી, જાણો સમગ્ર મામલો
સરકારને વહીવટ સોંપવાની માંગ
સામાજિક કાર્યકરોનું કહેવું છે કે મંદિર ટ્રસ્ટમાં ચાલી રહેલા આ કથિત કૌભાંડને રોકવા માટે સરકાર હસ્તક્ષેપ કરે તે જરૂરી છે. જેમ અન્ય મોટા મંદિરોનો વહીવટ સરકારના હાથમાં છે, તેવી જ રીતે જગન્નાથ મંદિરનો વહીવટ પણ સરકાર હસ્તક કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ટ્રસ્ટી અને મહંતનો પક્ષ
બીજી તરફ આ વિવાદ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉ હાઈકોર્ટે ચેરિટી કમિશનરના નિર્ણય પર સ્ટે મુક્યો છે. અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને હાઈકોર્ટ જે પણ નિર્ણય લેશે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. હાલમાં આ મામલો સુનાવણી હેઠળ હોવાથી નજીકના ભવિષ્યમાં કોર્ટનો ચુકાદો આ વિવાદમાં નિર્ણાયક સાબિત થશે.