![]()
સુરત રાંદેર વિરોધઃ આગામી ચૂંટણીને અનુલક્ષીને સુરતમાં રાજકીય પક્ષો દ્વારા જનસંપર્ક અને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે, પરંતુ વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત જનતા હવે નેતાઓ સામે આવી છે. રવિવારે (5 એપ્રિલ) સુરતના રાંદેર વિસ્તારમાં જનસંપર્ક માટે નીકળેલા ભાજપના પૂર્વ શાસકોને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષથી ન ઉકેલાતા પીવાના પાણીની સમસ્યા પર લોકોએ નેતાઓને ‘શેમ ઓન યુ’ ગણાવ્યા હતા.
વર્ષો જૂની સમસ્યાએ હલચલ મચાવી
મળતી માહિતી મુજબ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ અને તેમની પેનલના પૂર્વ કોર્પોરેટર કુણાલ સેલાર રવિવારે જનસંપર્ક માટે રાંદેર ગામે પહોંચ્યા હતા. આગેવાનો આ વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પીવાના પાણીની દુર્ગંધના મુદ્દે વિરોધ કરવા લાગ્યા હતા.
સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નેતાઓ પર કાળા રંગના ગંદા પાણીથી ભરેલી ડોલ ફેંકી હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 20 વર્ષથી માત્ર નવી લાઈનોની વાત કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં હજુ પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. રોષે ભરાયેલા રહેવાસીઓએ કહ્યું કે, ‘આ ગંદા પાણીને કારણે છોકરાઓ ઘરમાં બિમાર પડી રહ્યા છે. હવે આ આરિયો વોટ માટે ભૂલી જાઓ..’
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
નેતાઓ પર હુમલો કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો નેતાઓને સામ-સામે પ્રશ્નો પૂછી રહ્યા છે અને નેતાઓ પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી. ચૂંટણી પહેલા જ જનતાનો આ મિજાજ જોઈને રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે વર્ષો સુધી સત્તા ભોગવ્યા પછી પણ જો પાયાની સુવિધાઓ ન અપાય તો જનતા જનાર્દન ચૂપ રહેવા તૈયાર નથી.
