![]()
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન.આર. જોષીની આગેવાની હેઠળ 14 માર્ચ, 2026ના રોજ જામનગર જિલ્લા કોર્ટ અને તેની તાબાની તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતમાં 25 જેટલા ન્યાયિક અધિકારીઓએ ભાગ લીધો હતો, જ્યારે બેંકિંગ સંસ્થાઓ, મોબાઈલ કંપનીઓ અને PGVCL 15 જેટલી વિવિધ સંસ્થાઓ પણ આ પ્રક્રિયામાં જોડાઈ હતી અને સમર્થન આપ્યું હતું. આ લોક અદાલત સાચા અર્થમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટ અને સમાધાનકારી વલણ દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે વરદાન સાબિત થઈ છે.
આ રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન વિવિધ પ્રકારના કાનૂની વિવાદો જેવા કે ફોજદારી નેગોશિએબલ કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક રીટર્નના કેસ, બેંક રિકવરી ક્લેમ અને મોટર અકસ્માત વળતરના કેસોનો અગ્રતાના ધોરણે નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મજૂર તકરાર, વૈવાહિક અને પારિવારિક વિવાદો, વીજળી અને પાણીના બિલને લગતા પ્રશ્નો, જમીન સંપાદનના કેસો અને સર્વિસ મેટરના પગાર-ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસોનો પણ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પડતર મહેસૂલ કેસો અને ભાડુઆત, ઉપભોક્તા અધિકારો, મનાઈ દાવાઓ અને ચોક્કસ કામગીરીને સંડોવતા અન્ય સિવિલ કેસોનો પણ સુખદ અંત લાવવામાં આવ્યો હતો.
આ સફળ આયોજનના અંતે જામનગર જિલ્લામાં કુલ 7,166 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ રૂ. 21,76,97,841/- રકમની પતાવટ કરવામાં આવી છે. લોક અદાલત દ્વારા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થતો હોવાથી ન્યાયતંત્ર પરનો બોજ ઓછો થયો છે અને પક્ષકારોને લાંબી કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ મળી છે તેમ સેક્રેટરી અને અધિક સિનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
