![]()
સુરતમાં ગેસની અછત મધ્યપૂર્વમાં વધી રહેલા યુદ્ધ તણાવની અસર હવે સુરત શહેરમાં પણ દેખાવા લાગી છે. રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થતાં શહેરમાં રહેતા હજારો પરપ્રાંતિય કામદારો માટે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. ગેસ સિલિન્ડરની અછતને કારણે રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની છે, જેના કારણે ઘણા મજૂરો આખરે વતન ગયા છે.
કાળા બજારના ભાવ પોષાય તેમ નથી
સુરત જેવા કોસ્મોપોલિટન શહેરમાં સ્થળાંતરિત કામદારો વિવિધ ઉદ્યોગોની કરોડરજ્જુ બનાવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના આ કામદારો શહેરના કાપડ, બાંધકામ અને અન્ય ઉદ્યોગોમાં કામ કરે છે. પરંતુ છેલ્લા પખવાડિયાથી ગેસની તીવ્ર અછતને કારણે તેમની સ્થિતિ ગંભીર બની છે.
સામાન્ય રીતે આ કામદારોને 1200 રૂપિયામાં મળતું ગેસ સિલિન્ડર હવે કાળાબજારમાં ચારથી પાંચ ગણા ભાવે વેચાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ 2500 રૂપિયા ચૂકવ્યા પછી પણ સિલિન્ડર મળતું નથી. આવક મર્યાદિત હોવાથી મજૂરો માટે આ ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા બે દિવસથી વતન જતા મજૂરોની ભીડ જોવા મળી રહી છે.
