![]()
ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી
રાજસ્થાનનો પરિવાર દ્વારકાના દર્શન કરીને સોમનાથ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો
પોરબંદર: ગુજરાતના યાત્રાધામોની મુલાકાત લેવાની આકાંક્ષા સાથે રાજસ્થાનના એક ધર્મપ્રેમી પરિવાર માટે ભાગ્યએ કંઈક અલગ જ લખ્યું હતું. દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ જઈ રહેલા રાજસ્થાનના પરિવારની કારને પોરબંદર નજીકના વિસાવાડા નજીક અકસ્માત નડતા પરિવારના બે સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રાજસ્થાનથી ગુજરાતની યાત્રાએ નીકળેલ માડી પરિવાર દ્વારકાધીશના દર્શન કરી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ પ્રવાસ દરમિયાન પોરબંદરથી થોડે દૂર આવેલા વિસાવાડા ગામ પાસે હાઈવે પર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર પલટી મારી ગઈ હતી.
અકસ્માતમાં રાજસ્થાનની પવનદેવી નાગજી માડી નામની 60 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 76 વર્ષીય ગણેશરામ હરજી માડીનું સારવાર દરમિયાન ભાવસિંહજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં રાજસ્થાનના અરજણકુમાર માવરામ માડી (ઉંમર 35), નાગજીરામ હરજી માડી (ઉંમર 72), શિવરામ અરજણકુમાર માડી (ઉંમર 8), પન્નાલાલ નાગરામ માડી (ઉંમર 33) અને મદનલાલ નાગજી માડી (ઉંમર 32)ને ઈજાઓ સાથે ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અન્ય રાજ્યમાંથી આવેલા આ પરિવાર માટે પોરબંદરમાં કોઈ ઓળખાણ ન હોવાથી રેડક્રોસની ટીમે પરિવારના સભ્યોની ભૂમિકા ભજવી હતી. તમામ પાંચ ઘાયલ દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે ટીમે હોસ્પિટલ વહીવટીતંત્ર અને ડોકટરો સાથે સંકલન કર્યું હતું. જ્યારે પરિવાર અકસ્માત પછીની પોલીસ કાર્યવાહી, પંચનામા અને કાગળની કાર્યવાહીથી અભિભૂત હતો, ત્યારે રેડ ક્રોસ ટીમે તમામ પ્રક્રિયામાં મદદ કરી હતી.



