જામનગર સમાચાર: સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે ગુજરાતની તમામ વિવિધ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બે દિવસીય દરિયાઈ સુરક્ષા કવાયત શરૂ કરવામાં આવી છે. જેનો આજથી (6 જાન્યુઆરી)થી જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં હાલારમાં પણ પ્રારંભ થયો છે.

દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવવામાં આવશે
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિત તમામ સુરક્ષા એજન્સીઓ, મરીન પોલીસ સ્ટેશનની ટીમ, કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં આજથી બે દિવસ સુધી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

મરીન કમાન્ડો ટીમો અને કોસ્ટ ગાર્ડ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે, ઉપરાંત અન્ય પોલીસ ટીમોએ પણ દરિયાકાંઠાના વિસ્તારમાં રિસોર્સ ચેકિંગ કામગીરી હાથ ધરી છે. જેમાં જામનગર શહેર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અન્ય તમામ પોલીસનો મોટો કાફલો પણ જોડાયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં ધૂમ મચાવશે, જાણો રિલીઝ ડેટ

