સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ઇચ્છાપોર શાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત દયનીય બની રહી છે. પાલિકાની ઇચ્છાપોર શાળામાં ચાર પૈકી બે ઓરડામાં પાણી ટપકતું હોય અને વિદ્યાર્થીઓને આચાર્યની કચેરીમાં બેસી રહેવું પડે તેવી સ્થિતિ છે. બાળકો માટે ઘાતક બનતો ચાંદીપુરાનો રોગ સુરતમાં પ્રવેશ્યો છે અને પાલિકાએ લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે. બીજી તરફ મ્યુનિસિપલ શાળામાં જ પાણી ભરાતા હોવાથી વિદ્યાર્થીઓ માટે જોખમ ઉભું થયું છે.
સુરત મહાનગરપાલિકાના વિસ્તરણ બાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાલિકા આ વિસ્તારમાં નવી શાળા બનાવવાનું આયોજન કરી રહી છે પરંતુ હાલની શાળા જર્જરિત હાલતમાં છે. જેમાં ચોમાસા દરમિયાન અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ આજે ઇચ્છાપોર શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાંની દયનીય પરિસ્થિતિમાં તાકીદે સુધારો કરવા માંગ કરી હતી.
હીરપરાએ શાળાની મુલાકાત લીધા બાદ જણાવ્યું છે કે હાલ સુરતમાં ચાંદીપુરાનો રોગ પ્રવેશ્યો છે. નાના બાળકો આ રોગનો ભોગ બને છે, તેથી તેઓએ વધુ તકેદારી રાખવાની જરૂર છે. ઘરે વાલીઓ તકેદારી રાખે છે પણ શાળામાં નગરપાલિકાએ તકેદારી રાખવી પડે છે. પરંતુ ઈચ્છાપોર શાળાની સ્થિતિ કંઈક અલગ છે. શાળા રોડ કરતા નીચાણવાળા વિસ્તારમાં હોવાથી વરસાદી પાણી શાળામાં ઘુસી જાય છે અને પાણી ભરાઈ જાય છે. જેના કારણે મચ્છરજન્ય રોગની સાથે ચાંદીપુરા બાળકો માટે પણ ખતરો છે.