સુરતમાં દશામા મૂર્તિ વિસર્જન: સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં કોઈપણ પ્રકારની મૂર્તિનું વિસર્જન ન થાય તે માટે પાલિકા દ્વારા ગણેશ ઉત્સવ અને દશામાના તહેવાર દરમિયાન મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ દશામા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હોવાથી પાલિકા દ્વારા શહેરમાં પાંચ જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદુષણને રોકવા માટે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઉપરાંત કોઈપણ પ્રકારની મૂર્તિઓનું તાપી નદીમાં વિસર્જન કરવામાં ન આવે તેવા આદેશ બાદ મ્યુનિસિપલ તંત્ર કડક બન્યું છે. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા કોઈપણ પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉત્સવ પૂર્ણ થયા બાદ પ્રતિમાને વિસર્જન કરવાની કામગીરી કરવાની રહેશે. આથી પાલિકાએ દશામાની પ્રતિમાના વિસર્જન માટે 5 જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરી છે.
નગરપાલિકાના મધ્ય ઝોનમાં આવેલા ડક્કા ઓવારા, રાંદેર ઝોનમાં રામજી મંદિર ઓવારા, કતારગામમાં લંકા વિજય ઓવારા, વરાછા-એ અને વરાછા-બી ઝોનમાં સરથાણા વીટી સર્કલ પાસે, અઠવા વિસ્તારમાં ડુમસ કાંડી ફળિયામાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે નગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, તાપી નદીમાં પ્રદુષણ અટકાવવા અને પર્યાવરણની જાળવણી માટે દશામાની મૂર્તિઓનું વિસર્જન મંડપમાં, ઘરમાં, ઉપરાંત કૃત્રિમ તળાવમાં કરવામાં આવે.